નર્મદા મામલે પૂર્વ રાજ્યમંત્રી સરકાર સુધી છેડા જોડે છે પણ કરંટ લાગશે?
✍️ ભાવિન વોરા, તા. 07 એપ્રિલ 2021
અગાઉ જયારે દેશમાં ચૂંટણી આવે ત્યારે રામ મંદિરનો મુદ્દો ગાજતો હતો, તેનું પરિણામ આવી ગયું એટલે આ મુદ્દા પર પૂર્ણવિરામ આવી ગયું કહેવાય. આવું જ કંઈક કચ્છ સાથેનું છે, લોકોની લાગણીના તાર ઝંઝણાવા હોય તો નર્મદાના પાણીની વાત ઉલ્લેખી નાખવાની એટલે રાજકીય રીતે સમાજકારણ પણ ચાલતું રહે. 2019 અને 2020 કચ્છની નર્મદાની મુખ્ય શાખા નહેર અને એક મિલિયન એકર ફિટ પાણી માટે ચર્ચામાં રહ્યા હતા. કિસાનો, જળ સંકટ સમિતિ, જેમના વિસ્તારમાંથી નહેર પસાર થાય છે અથવા ખાસ કરીને સિંચાઈ તથા પીવાના પાણીથી લાભાન્વિત થવાના છે તેવા ખેડૂતો અને ગ્રામજનો અને કેટલાક અંશે સત્તા અને વિરોધ પક્ષના લોકો પણ તરફેણ અને વિરોધના મેદાનમાં આવ્યા છે. પાશેરમાં પુણિ સમાન કંઈક થાય છે એમ નોંધવું રહ્યું પણ સટીક અને સોય ઝાટકીને લખીએ તો નર્મદાના સિંચાઈના નિયમિત નીર મામલે એક દાયકો અને વધારાના એક મિલિયન પાણી મામલે અનિશ્ચિતતા ભરેલી છે, કચ્છી કે બૃહદ કચ્છી તરીકે આપણે એવું ન ઈચ્છીએ કે આ વધારાના પાણીનો હક જતો રહે પણ દાનત સામે શંકા ચોક્કસ ઉભી થઇ છે. કારણ કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને વધારાના ભાગના પાણી મળી ગયા છે. ભાજપના ગઢ એવા કચ્છને તો વહીવટી મંજૂરી માટે પણ ગાજર લટકેલું છે. કુવામાં હશે તો અવાડામાં આવશે, મજૂરી જ સૈદ્ધાંતિક રીતે નથી આપી સરકારે તો વધારાના પાણી વહેવાનું વિચારી પણ કેમ શકાય, કચ્છીઓ ભોળા છે, સત્તાધારીઓ ચાલાક છે અને કચ્છીઓનું શાણપણ નડે છે. એટલે જ સત્તા સામે શાણપણ નથી ચાલતું.
નર્મદા જળ અભિયાન હોય કે કિસાન સંઘ એક મર્યાદાથી બહાર નથી જઈ શકવાના. કારણ કે તેમની સાથે જૂજ લોકો સામેલ છે. બીજી બાજુ રાજકીય લોકો ડૉ. મહિપતરાય મહેતા જેમ પગ ખોડીને રજૂઆત નથી કરી શકવાના, તેમાં તેમનો વાંક કાઢવો એ ચવાયેલું ગણાશે.
વાત રહી કામ ચાલુ બંધ થવાની. તેમાં રાજકીય ઈચ્છા શક્તિ પણ જોઈશે અને તે અમલી બને તેવી હોવી જોઈએ. આડ વાત ઉમેરીએ તો મૂકીએ તો મુંબઈ સ્થિત કચ્છી અગ્રણીએ લોકોને જોડવાની વાત કરી, initiative લીધું તે ખૂબ સારું કહેવાય. પણ વાત તેમણે ક્રમશ : રીતે જૂની જ કરી. વે ફોરવર્ડ જેવું ખાસ ન લાગ્યું. નર્મદા પ્રકરણોમાં હાજરી બતાવવા કરતાં તેનામાં આગળ વધીને પરિણામ લાવવું અત્યારના સમયનો તકાજો છે.
જેમના રાજ્ય મંત્રી પદના સમયમાં કેટલું કામ થયું છે તે સવાલો કિસાનો ઉઠાવે છે પણ હાલની રાજકીય નિવૃત્તિ ગાળતા પીઢ નેતા તારાચંદ છેડાએ વડાપ્રધાન સુધી નર્મદાના કામોની લેખિત લાગણી જોશભેર મૂકી, થોડો સમય કામ પણ શરૂ થયું હતું. કેસરિયા લોકોને PM સુધીની રજૂઆતનું નથી ગમ્યું પણ મોઢા પર ન આવવા દે. આખરે તો રાજકીય લોકોને ખરા ને. તારાચંદભાઇએ પાણીના કામો પૂરાં કરાવવા સરકારને તારા ગણાવતા 3 પત્ર લખ્યા છે, તેમણે જવાબ પણ મળે છે. પણ તેઓ અફસોસ કરે છે કે પરિણામ નથી મળતું, સાચા તો છે. સરકારને સિફતપૂર્વક ઘેરવામાં તેમની વાણિયાબુદ્ધિ જોવાઈ રહી છે અને નિગમ કે અન્ય તંત્રોના અધિકારીઓના નામે આક્ષેપો કરતાં પત્રો લખીને પરિણામ માગી રહ્યા છે. દેર આયે દુરસ્ત આયે, પ્રશ્નો ઉઠાવીને સરકારના નર્મદા રાજકાજમાં નાની મોટી હલચલ કરે છે તે બાબત હકારાત્મક કહેવાય. છેડાનો કરંટ ગાંધીનગરમાં તો જ લાગશે જો તેમનું follow up kaymi રહેશે, જળ અભિયાન કે કિસાનોનો ટેકો મળશે અને નર્મદાના પાણી કચ્છમાં વહેતા કરવા સામે પાણીએ તરવું પડશે. એક પ્લેટફોર્મ પર આવવું પડશે, સંવાદિતતા અને સમાજને નુકસાન ન થાય તેમ ગરિમાપૂર્ણ વિરોધ પહોંચાડવો પડશે. પરિણામ સિવાય કોઈ જ ઉકેલ નહીં તે લક્ષયભેદ કરવો પડશે.
અન્યથા રીઝન મળશે રિઝલ્ટ............ જો ભગવાન
#Kachchh
#Kutch
#Narmada
👌✍👍
ReplyDeleteYoutubemp3.info
ReplyDelete