✍️ ભાવિન વોરા, તા. 07 એપ્રિલ 2021 અગાઉ જયારે દેશમાં ચૂંટણી આવે ત્યારે રામ મંદિરનો મુદ્દો ગાજતો હતો, તેનું પરિણામ આવી ગયું એટલે આ મુદ્દા પર પૂર્ણવિરામ આવી ગયું કહેવાય. આવું જ કંઈક કચ્છ સાથેનું છે, લોકોની લાગણીના તાર ઝંઝણાવા હોય તો નર્મદાના પાણીની વાત ઉલ્લેખી નાખવાની એટલે રાજકીય રીતે સમાજકારણ પણ ચાલતું રહે. 2019 અને 2020 કચ્છની નર્મદાની મુખ્ય શાખા નહેર અને એક મિલિયન એકર ફિટ પાણી માટે ચર્ચામાં રહ્યા હતા. કિસાનો, જળ સંકટ સમિતિ, જેમના વિસ્તારમાંથી નહેર પસાર થાય છે અથવા ખાસ કરીને સિંચાઈ તથા પીવાના પાણીથી લાભાન્વિત થવાના છે તેવા ખેડૂતો અને ગ્રામજનો અને કેટલાક અંશે સત્તા અને વિરોધ પક્ષના લોકો પણ તરફેણ અને વિરોધના મેદાનમાં આવ્યા છે. પાશેરમાં પુણિ સમાન કંઈક થાય છે એમ નોંધવું રહ્યું પણ સટીક અને સોય ઝાટકીને લખીએ તો નર્મદાના સિંચાઈના નિયમિત નીર મામલે એક દાયકો અને વધારાના એક મિલિયન પાણી મામલે અનિશ્ચિતતા ભરેલી છે, કચ્છી કે બૃહદ કચ્છી તરીકે આપણે એવું ન ઈચ્છીએ કે આ વધારાના પાણીનો હક જતો રહે પણ દાનત સામે શંકા ચોક્કસ ઉભી થઇ છે. ...